શ્રી ધનજી કાનજી ગાંધી સુવર્ણચંદ્રક એનાયત
થયા બાદ આપેલું વક્તવ્ય
મારી નિસબત
આખું આકાશ આંખમાં ભરી લેવાની પહેલેથી જ ઝંખના રહેતી. આકાશમાં એકાદ વાદળને અહીંતહીં ભ્રમણ કરતું નીરખતો, પરંતુ એનાથી ક્યારેય ઘરવ થતો નહીં. મનમાં એક જ ઇચ્છા રહેતી અને તે આકાશનું ઊંડાણ અને એનો વ્યાપ પામવાની.
પ્રકૃતિમાં જે પસંદ એ જ પ્રવૃત્તિમાં પસંદ. એક ક્ષેત્રની સીમાઓમાં બંધાઈ રહેવાને બદલે ભિન્ન ભિન્ન ક્ષેત્રોમાં ઘૂમવાનું ગમે અને એ રીતે ‘વ્યાપ’નો મનભર, વિચારસમૃદ્ધ અનુભવ થાય. સદ્-ભાગ્યે આકાશસમગ્રને આંખમાં ભરી લેવાની એક દૃષ્ટિ મળી અને તે છે મૂલ્ય સાથેની નિસબત. સંકીર્ણતાનો ત્યાગ કરીને વ્યાપક ભૂમિકા પર વિચાર કરવાની વૃત્તિ જાગી અને એની સાથે મૂલ્યને કેન્દ્રમાં રાખીને જીવનના આચાર-વિચાર ઘડાય એવી પ્રતીતિ થઈ. મૂલ્ય સાથેની નિસબતે જીવન અને સાહિત્ય વચ્ચેની દીવાલ દૂર કરી. જીવનની નિસબત એ જ સાહિત્યની નિસબત બની ગઈ. આ મૂલ્ય-દૃષ્ટિએ આકાશમાં કેટલાંય મેઘધનુષો રચ્યાં. પ્રવૃત્તિઓના કેટલાય આનંદરંગો રેલાવ્યા અને એથી જ આફ્રિકાના નાટ્યકાર સોયેન્કા કે ઑસ્ટિન બુકેન્યાની સાથોસાથ સચિનના ડ્રાઇવ અને રોનાલ્ડોના ગોલ માણવાની મજા માણી. ઉપનિષદ, ગીતા અને જૈનદર્શનોનું સારતત્ત્વ પામવાનો આનંદ મળ્યો. વર્તમાન સમયમાં શ્રીમદ્ રાજચંદ્રની મહાત્મા ગાંધીની વિચારધારા પર અસર કરનારી જીવનકથા ગમી ગઈ. શિક્ષણમાં પણ વિદ્યાર્થીઓના અધ્યાપન ઉપરાંત એમની જીવનશૈલીનો વિચાર કરતો થયો. અનેક સેવાભાવી સંસ્થાઓ દ્વારા મૂંગે મોંએ ઘસાઈને ઊજળા થવાનો આનંદ આવ્યો.
પિતાશ્રી લેખક હોવાથી સાહિત્ય અને સાહિત્યકારોની વચ્ચે બાળપણ વીત્યું. ઝવેરચંદ મેઘાણી રાણપુરમાં વસતા હતા મારા મામાના ઘરની સાવ નજીકમાં. એમનો ‘કાં ભાઈ’નો લહેકો આજેય કાનમાં ગુંજે છે. ‘ધૂમકેતુ’ આવે ત્યારે ખિસ્સામાં ચૉકલેટ હોય જ. ઘરમાં બેસતાં અમને – બાળકોને – બોલાવીને ચૉકલેટ આપે. ગુણવંતરાય આચાર્યની ટૂચકા અને ઓઠા સાથે વાતને મલાવીને હલકભેર કહેવાની રીત ગમે. દુલેરાય કારાણી જુસ્સાભેર કચ્છની વીર કથા કહે, તો કાગ બાપુ ભાવ-તરબોળ થઈ જવાય તેમ રામાયણનું રહસ્ય ખોલી આપે. કનુ દેસાઈ, ધીરુભાઈ ઠાકર, ચંદ્ર ત્રિવેદી, ગૂર્જરના મુરબ્બી ગોવિંદભાઈ અને શંભુભાઈ જેવા સહુને મળવાનું બનતું. આ કલાજીવીઓના મેળાપની વિશેષતા એ કે એમાં ક્યાંય કોઈની ટીકા કે દ્વેષ ન મળે. માત્ર મસ્તી રેલાતી હોય. પરસ્પર માટેનો હૃદયનો પ્રેમ પ્રગટતો જાય. પરિણામે ઉદાર, પ્રેમાળ અને ઝિંદાદિલ હોય એ જ સાહિત્યકાર હોય એવી મનમાં ગાંઠ બંધાઈ ગઈ. સૌથી વધુ પ્રભાવ પં. સુખલાલજીનો અનુભવ્યો. શાસ્ત્રોનો અભ્યાસ, સત્યપ્રાપ્તિની તીવ્ર ઇચ્છા, શારીરિક મર્યાદાને ઓળંગતું આંતરિક ખમીર – એ બધું સાથેલાગુ જોવા મળ્યું.
ઘરમાં રોજ સવારે પિતાશ્રીનું લેખનકાર્ય ચાલે. અક્ષર સુંદર, પેનને બદલે કલમ વાપરે. મને મનમાં થતું કે હું પણ કંઈક લખું. એ સમયે બાળસાપ્તાહિક ‘ઝગમગ’ની જાહોજલાલી હતી. ‘ગુજરાત સમાચાર’ કરતાં પણ એની વધુ નકલ પ્રકાશિત થતી. એમાં વાર્તા મોકલી. ‘જયભિખ્ખુ’ના પુત્ર હોવાને કારણે એ પ્રકાશિત થાય તે તો ગમે નહીં. ‘જયભિખ્ખુ’નું મૂળ નામ બાલાભાઈ હતું. કદાચ બાલાભાઈ નામ લખવાથી તંત્રીને ખ્યાલ આવી જાય તો ? તેથી કુ. બા. દેસાઈના નામે વાર્તા મોકલી. વાર્તા સ્વીકારાઈ. મનમાં થયું કે આની બે-ત્રણ નકલ વધુ લઈ આવું, જેથી મિત્રોને બતાવી શકાય. એ નકલ લેવા સાપ્તાહિકના કાર્યાલય પર ગયો ત્યારે એના તંત્રી મળ્યા. એમણે જ્યારે જાણ્યું કે ગુજરાતના સિદ્ધહસ્ત લેખક ‘જયભિખ્ખુ’નો હું પુત્ર છું તો તે જાણીને આનંદ થયો. મને બેસાડ્યો અને નિયમિત રૂપે કૉલમ લખવા કહ્યું. નવમા ધોરણની એ વાત હશે. ત્યારથી લેખનનો પ્રારંભ થયો. આથી કૉલમ લખવાનો મહાવરો એવો કે અર્ધા-પોણા કલાકમાં કૉલમ લખાઈ જાય. ઘણી વ્યક્તિ એકાદ કૉલમ લખતી હોય તો એના બોજ હેઠળ દબાઈ જતી હોય છે. આવો બોજ મને કદી લાગ્યો નથી.
આખું આકાશ પામવાની એ મૂલ્ય-દૃષ્ટિએ જોયું કે માનવીના જીવનમાં સૌથી મોટો ધર્મ હોય તો તે માનવતા છે અને સૌથી મોટું કાર્ય હોય તો તે માનવકલ્યાણ છે. પરિણામે સાહિત્યસર્જનના એવા વિષયો મળવા લાગ્યા કે જેના આલેખનથી સ્વયં પ્રસન્નતાનો અનુભવ થાય. કૉલેજના અભ્યાસકાળ સમયે ‘લાલ ગુલાબ’ નામે લાલબહાદુર શાસ્ત્રીનું જીવનચરિત્ર લખ્યું. એની 60,000 જેટલી નકલો વેચાઈ. હજી કૉલેજનો અભ્યાસ પૂરો કર્યો અને અધ્યાપક તરીકેની કારકિર્દીના પ્રારંભે જ પિતાનું અવસાન થયું. જૈન સમાજમાં લેખક થવું મુશ્કેલ. જ્યારે ‘જયભિખ્ખુ’એ એ સમયે આવી ફકીરી મોજથી સ્વીકારી હતી અને સાહિત્યના આ કે તે જૂથમાં રહેવાને બદલે પોતીકી રીતે લેખનપ્રવૃત્તિ કરી હતી. મૃત્યુ પહેલાં એકાદ મહિના પૂર્વે પોતાની રોજનીશીમાં પોતાના અવસાન સમયે શું કરવું – ન કરવું એની ઝીણામાં ઝીણી સૂચના આપી હતી અને એનું અંતિમ વાક્ય હતું, ‘સહુએ અગરબત્તી જેવું જીવન જીવવું’, જયભિખ્ખુએ મોગલયુગ, રજપૂતયુગ અને વૈષ્ણવભક્તિ જેવા વિષયો પર સફળતાથી કલમ ચલાવી, પરંતુ સર્જકોને ‘લેબલ’ લગાડીને જોનાર લોકો એમની વ્યાપકતાને જોઈ શક્યા નહીં. આ ગાળામાં સર્જક ‘ધૂમકેતુ’નું એક વાક્ય મનમાં જડાઈ ગયું. એમણે એમ કહ્યું કે મીરાં એ હિંદુઓ પાસે હતી તો જગતની કવયિત્રી બની અને આનંદઘન જૈનો પાસે હતા તેથી સાવ ભુલાઈ ગયા. એમની આ ટકોરના પરિણામે આનંદઘનનાં પદો અને સ્તવનો વાંચવાનું બન્યું. એની આધ્યાત્મિક ઊંચાઈ સ્પર્શી ગઈ. ચારસો જેટલી હસ્તપ્રતોને આધારે ડૉ. ધીરુભાઈ ઠાકરના માર્ગદર્શન હેઠળ મહાનિબંધ તૈયાર કર્યો. પં. બેચરદાસ દોશી અને ભોગીલાલ સાંડેસરા જેવા સંશોધકોની ચકાસણીમાં એ મહાનિબંધ સફળ પુરવાર થયો. પછી તો લેખનયાત્રા સાથે સંશોધન-ખેપ ચાલતી રહી.
નવલિકા, ચરિત્ર, સંશોધન, વિવેચન, બાળસાહિત્ય અને પ્રૌઢસાહિત્યની રચના કરી. પંદર જેટલાં સંપાદનો કર્યા પણ આ બધાંની પાછળ કોઈ મૂલ્યને અનુલક્ષીને સર્જન કરવું એવો ભાવ સતત રહે. સાહિત્યસમીપ વસવાનો આનંદ કોઈ ઓર જ હોય છે. સર્જકના શબ્દ પાસે જઈએ ત્યારે એની ચેતનાનો સંસ્પર્શ ચિત્તને વિસ્મયનો, આનંદનો અનુભવ કરાવે છે. આવા સાહત્યસ્વામીઓની વાઙ્મયસૃષ્ટિની થોડી વાત આજે વિમોચન પામેલા ‘શબ્દસમીપ’માં કરી છે.
અધ્યાપક તરીકે બે કામ સાથોસાથ ચાલે. એક તો ‘શબ્દસંનિધિ’ અને ‘ભાવન-વિભાવન’ જેવા વિવેચનસંગ્રહ પ્રગટ કર્યા, ‘જ્ઞાનવિમલસૂરિકૃત સ્તબક’, ‘વાંચક મેરુસુંદરસૂરિ બાલાવબોધ’, ‘અપ્રગટ મધ્યકાલીન કૃતિ’ જેવા મધ્યકાલીન સંશોધનના ગ્રંથો તૈયાર થયા. અભ્યાસકાળમાં ઉમાશંકર જોશી, નગીનદાસ પારેખ, દલસુખભાઈ માલવણિયા, યશવંત શુક્લ, મધુસૂદન પારેખ, પ્રબોધ પંડિત પાસે અભ્યાસ કરવાની જ નહીં, પણ ગુરુચરણે રહેવાની તક મળી. એક સમયે જ્યાં બેસીને ઉમાશંકરભાઈનાં વ્યાખ્યાન સાંભળતા હતા, એ ભાષાભવનમાં આજે વ્યાખ્યાન આપતી વખતે ઘણી પુણ્યસ્મૃતિઓ અનુભવાય છે. મૂલ્યલક્ષી જીવનનો મહિમા હોવાથી ચરિત્રલેખનમાં આનંદ આવ્યો. બુદ્ધિસાગરસૂરિ અને કૈલાસસાગરસૂરિજી જેવા સાધુઓનાં ચરિત્રો કે આફ્રિકામાં જઈને એક સૈકા પહેલાં આફ્રિકનોને ઉદ્યોગ શીખવનાર પ્રેમચંદ વ્રજપાળ શાહના ચરિત્રની રચના કરી.
મહાયોગી આનંદઘનના અભ્યાસે એક નવી દિશા ખોલી આપી. તેને પરિણામે જૈનદર્શનનો અભ્યાસ કરવાનું શરૂ કર્યું. જૈનદર્શન જીવનધ્યેયને વધુ અનુરૂપ બની રહ્યું. રૂઢ ક્રિયાકાંડ કે પ્રચલિત માન્યતાને બદલે દર્શનના પ્રકાશમાં શાશ્વત મૂલ્યોને પામવાની મથામણ શરૂ થઈ. આને પરિણામે પ્રવચનો, લેખો, ગ્રંથો અને વિદેશ પ્રવાસ શરૂ થયાં. દર્શનના અભ્યાસે જીવન જોવાની નવી દૃષ્ટિ અને પ્રસન્ન રહેવાની ઘણી ખૂબીઓ આપી. અનેકાંતવાદના અભ્યાસે સંઘર્ષને બદલે સંવાદ રચવાની વિરલ સમજણ આપી. ભિન્ન ભિન્ન ક્ષેત્રના ઉત્કૃત માનવીઓને જોયા પછી આપોઆપ પોતાના કાર્ય વિશે નમ્રતાનો ભાવ રહ્યો. અમદાવાદના ટાઉનહૉલથી માંડીને યુનાઇટેડ નેશન્સના ચૅપલ સુધી વકત્વ્ય આપવાની તક મળી. ઇંગ્લૅંન્ડના ડ્યૂક ઑફ ઍડિનબરો પ્રિન્સ ફિલિપ, વેટિકનના પો જ્હૉન પૉલ (દ્વિતીય) અને દક્ષિણ આફ્રિકાના નેલ્સન મંડેલા જેવી વ્યક્તિઓને મળવાની અને તેમની સાથે ચર્ચા કરવાની તક મળી. ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનૉલોજી નામની વિશ્વવ્યાપી સંસ્થાના કો-ઑર્ડિનેટર તરીકે વિશ્વસ્તરે કામગીરી અને આયોજન કરવાનો અમૂલ્ય અનુભવ મળ્યો. નેમુ ચંદરિયા જેવી વ્યક્તિનો પરિચય થયો. વિદેશમાં એટલા અને એવા મિત્રો મળ્યા છે કે ઘણી વાર દેશ-વિદેશ વચ્ચે ભેદ લાગતો નથી. 1993માં શિકાગોની ‘પાર્લામેન્ટ ઑફ ધ વર્લ્ડ રિલિજિયન્સ’માં તથા 1999માં કૅપટાઉનમાં યોજાયેલી ‘પાર્લામેન્ટ ઑફ ધ વર્લ્ડ રિલિજિયન્સમાં’ વક્તવ્ય આપવાનું બન્યું, પણ સાથોસાથ વિશ્વના ધર્મ-દર્શનના અગ્રણીઓ, વિચારકો અને ઍક્ટિવિસ્ટોના સંપર્કમાં આવવાનું બન્યું. જૈનદર્શન વિશેનાં પુસ્તકો, તીર્થંકર ચરિત્ર તથા મહત્ત્વનું યોગદાન કરનાર ચરિત્રોનું આલેખન થયું, એની સાથોસાથ એક અભાવ ખટકવા લાગ્યો અને તે જૈન ધર્મ વિશેનાં અંગ્રેજી પુસ્તકોનો. તેના પરિણામે દસેક જેટલાં પુસ્તકો પ્રગટ થયાં. અનેક દેશના પ્રવાસે જવાનું બન્યું. આજે તેની નોંધ અને એનાં લખાણો ગ્રંથસ્થ થવાની રાહ જુએ છે. એવું જ પત્રકારત્વમાં બન્યું. બત્રીસ વર્ષથી ‘ઈંટ અને ઇમારત’ કૉલમ લખું છું, પણ એનો સંગ્રહ અદ્યાપિ પ્રગટ કરી શક્યો નથી. પત્રકારત્વનું લખાણ અને સાહિત્યનું લખાણ તદ્દન ભિન્ન બાબત લાગતી હોવાથી અખબારમાં પ્રગટ થયેલ સમગ્ર સામગ્રીનું પુનર્લેખન કરું છું. પત્રકારત્વમાં પણ એક જ દૃષ્ટિ અને એને કારણે ચાલીસેક વર્ષ થયાં છતાં વાચકોનો એટલો જ પ્રેમ બધી કૉલમને મળતો રહ્યો છે. વાસુદેવ મહેતા પાસેથી મળેલી પત્રકારત્વની આકરી તાલીમ આશિષરૂપ પુરવાર થઈ. ‘ગુજરાત સમાચાર’નો સદા સ્વજન જેવો સાથ રહ્યો. શાંતિલાલ શાહની પ્રેરણા, શ્રેયાંસભાઈ અને બાહુબલિભાઈ સાથેનો આત્મીય સંબંધ સદાય પારિવારિક સંબંધ જેવો રહ્યો છે. અખબાર લેખન અને સાહિત્યિક લેખન બંને એકબીજાના પર્યાય બની જાય તેવો મારો પ્રયત્ન છે. અખબારમાં સાહિત્યિક સુગંધવાળું લખાણ આવે. અતિશયોક્તિ, અખબારી શબ્દાળુતાનો ત્યાગ કરીને શુદ્ધ સાહિત્યિક રચના માટે પ્રયાસ કર્યો.
પેલી દૃષ્ટિ પ્રવૃત્તિઓ તરફ લઈ ગઈ અને તેને કારણે અનેક પ્રવૃત્તિઓ શરૂ થઈ. જેમાં અનુકંપા ટ્રસ્ટ દ્વારા પીડિતોને સહાય, વિદ્યાવિકાસ ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓને અભ્યાસમાં સહાય, શ્રી જયભિખ્ખુ સાહિત્ય ટ્રસ્ટ દ્વારા સર્જકોને સહાય અને બોટાદ જેવા જિલ્લાના રેડક્રૉસના અન્વયે નેત્રયજ્ઞો જેવાં અનેક કાર્યો થઈ શક્યાં છે. ધરતીકંપ સમયે પંદરેક લાખ રૂપિયા જેવું ભંડોળ એકઠું કર્યું હતું. વિશ્વકોશના પ્રારંભકાળના માઠા દિવસોનું સ્મરણ છે. અઢી કરોડનો પ્રૉજેક્ટ અને માત્ર તેર લાખ રૂપિયા છતાં વિદ્યાતપને કારણે આ પ્રવૃત્તિએ આગવી ભાત પાડી. વિશ્વકોશની સફળતા એ ગુજરાતમાં રહેતા વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો અને અધ્યાપકોના સહકારને કારણે જ છે. કદાચ વિશ્વકોશ ન થયો હોત તો ગુજરાતમાં આટલું ટું વિદ્યાધન રહેલું છે, તેની પ્રતીતિ કદાચ ન થાત. વિદ્વાનોને સક્રિય કરવાની પ્રવૃત્તિ વિશ્વકોશ વતી થઈ તેમાં નિમિત્તરૂપ બન્યાનો આનંદ છે.
સાહિત્યિક સંસ્થાઓની પ્રવૃત્તઓમાં મને જોતરવાનું કામ રઘુવીર ચૌધરી, ભોળાભાઈ પટેલ, ચંદ્રકાન્ત મહેતા અને ચંદ્રકાન્ત શેઠ વગેરેએ કર્યું છે. ગુજરાત સાહિત્ય સભાનો ચંદ્રક એનાયત કરવા માટે આભાર માનું છું. ચંદ્રક કે ઍવૉર્ડને મારા કાર્યના એપ્રીશિએશન રૂપે લેખું છું અને તે ક્ષેત્રમાં વધુ કાર્ય કરવા માટેનો પડકાર ગણું છું.
આ જે કંઈ છે તેની પાછળ રહેલું છે પેલું આકાશ અને પેલી દૃષ્ટિ.